ગોધરા પોલીસ તાલીમ ભવન ખાતે IGP આર વી અસારીના માનમાં ભાવભીનો વિદાય સમારંભ યોજાયો..
ગુજરાત પોલીસ વિભાગમાં તાજેતરની મોટી બદલીઓના ક્રમમાં પંચમહાલ-ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IGP) આર. વી. અસારીની ભાવનગર રેન્જમાં બદલી થઈ છે. આ બદલીના કારણે ગોધરા પોલીસ તાલીમ ભવન ખાતે તેમના માનમાં ભાવભીનો વિદાય સમારંભ યોજાયો હતો.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલા મોટા વહીવટી ફેરબદલમાં ૩૭ આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે. આ ક્રમમાં ૨૦૦૬ બેચના આઈપીએસ અધિકારી આર. વી. અસારી જેઓ અત્યાર સુધી પંચમહાલ-ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક તરીકે ફરજ બજાવતા હતા, તેમને ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આ બદલીના પગલે આજે ગોધરા ખાતેના પોલીસ તાલીમ ભવનમાં તેમના સન્માન અને વિદાય માટે એક ભાવુક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારંભમાં પંચમહાલ-ગોધરા રેન્જના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, DSP, PI, PSI તેમજ તાલીમાર્થી પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો.સમારંભ દરમિયાન આર વી અસારીને પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા. અધિકારીઓએ તેમની કાર્યક્ષમતા, કડક અને ન્યાયપ્રિય વ્યક્તિત્વ તેમજ રેન્જમાં કરેલા અપરાધ નિયંત્રણ અને જનતાની સુરક્ષા માટેના યોગદાનની પ્રશંસા કરી હતી.