અમે ગુજરાતીઓ અભણ નથી કોંગ્રેસ માફી માંગે ના સ્લોગન સાથે ગોધરામાં ભાજપની મૌન રેલી
ગુજરાતના સ્વાભિમાનને ઠેસ પહોંચાડતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે રાજ્યમાં ભાજપનો તીવ્ર વિરોધ ચાલુ છે. કેરળની એક રેલીમાં ખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ કહીને અપમાન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. આ વિરોધમાં આજે ગોધરા ખાતે ભાજપે મૌન રેલી યોજી હતી
ગોધરા ખાતે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન વિરુદ્ધ મૌન રેલીનું આયોજન કર્યું હતું. કાર્યકર્તાઓએ ‘ગુજરાતીઓનું અપમાન નહીં સહીએ’, ‘ખડગે માફી માંગો’,જેવા સ્લોગન સાથે વિરોધ નોંધાવ્યો હતો
યાદ અપાવીએ કે કેરળની ઇડુક્કીમાં યોજાયેલી રેલીમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “મોદીજી, તમે ગુજરાત અને અન્ય સ્થળોએ અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ કેરળની પ્રજાને નહીં.” આ નિવેદનને ગુજરાત ભાજપે સમગ્ર ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે